ગામ ગામ જોડાઈને ભારત દેશનું નિર્માણ થાય છે. ભારત દેશના ઘણા ગામડાઓ પોતાનામાં જ વિશેષતા ધરાવે છે. આમાંના ઘણા ગામો સુંદરતા માટે પ્રખ્યાત છે, જ્યારે ઘણા તેમની સ્વચ્છતા માટે જાણીતા છે. પરંતુ કેટલાક ગામો વિશે વાત કરવામાં આવે તો તે સુંદરતાની સાથે-સાથે ભાતીભાતી કારણોથી દેશભરમાં જાણીતા છે.
હિવરે બજાર ગામ, મહારાષ્ટ્ર
ભારતના આ ગામડાએ સાબિત કરી દીધું છે કે ગામડાના લોકો ગરીબ નથી હોતા. હિવરે બજાર ગામ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું છે. આ ગામ કરોડપતિ ગામ તરીકે ઓળખાય છે. આ ગામમાં રહેતા 50થી વધુ લોકો કરોડપતિ છે. વિકાસ અને સમુદાય આધારિત પ્રાકૃતિક સંસાધન મેનેજમેન્ટથી આ ગામના લોકોને મદદ મળી છે. આ ગામ ભારતના આદર્શ ગામોમાં સામેલ છે.
મત્તૂર ગામ, કર્ણાટક
આ ગામના મોટાભાગના લોકો તેમના રોજિંદા જીવનમાં વાતચીત કરવા માટે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે. મત્તૂર નામનું આ અનોખું ગામ કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં આવેલું છે. કર્ણાટકમાં કન્નડ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ ગામના લોકો સંસ્કૃત ભાષામાં વાતચીત કરતા હોય છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આમાં અનોખું શું છે? સંસ્કૃત પ્રાચીન ભારતીય ભાષા છે, પરંતુ તે હવે ખુબ જ ઓછી બોલાય છે. ભારતમાં કેટલીક શાળાઓમાં સંસ્કૃત શીખવવામાં આવે છે, પરંતુ હાલમાં ભારતમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ધાર્મિક વિધિઓ પૂરતો મર્યાદિત છે. મત્તૂર ગામના લોકો માટે આ સામાન્ય ભાષા છે.
લોંગલો વા ગામ, નાગાલેન્ડ
નાગાલેન્ડના મોન જિલ્લામાં લોંગલો વા ગામ આવેલું છે. આ ગામ રાજ્યના સૌથી મોટા ગામોમાંનું એક છે, પરંતુ આ કારણ ગામને ખાસ નથી બનાવતું. આ ગામના સરપંચનું ઘર જેને સ્થાનિક ભાષામાં અંગ અથવા રાજા કહેવામાં આવે છે, તે ભારત અને મ્યાનમારની ભૌગોલિક સરહદમાં આવેલું છે. જો તમે તે ઘરમાં છો, તો તમે એક જ સમયે મ્યાનમાર અને ભારતમાં રહી શકો છો. આ ગામના લોકો પાસે બંને દેશની નાગરિકતા છે.
બડવા કલા ગામ, બિહાર
બિહારના કૈમૂર હિલ્સના બડવા ગામ વિશે જાણીને તમે આશ્ચર્યથી ભરાઈ જશો. આ ગામમાં વર્ષ 2017 સુધી કોઈના પણ લગ્ન થયા ન હતા. વર્ષ 2017 પછી આ ગામમાં જાન આવી હતી. આ ગામને “વિલેજ ઓફ બેચલર’ પણ કહેવામાં આવતું હતું. પહેલા આ ગામ સુધી પહોંચવા માટે 10 કિમીનો લાંબો રસ્તો હતો. આ ગામમાં કોંક્રીટનો રોડ ન હોવાથી ગાડી લાવવી અશક્ય હતી. ગામના લોકોએ એક રસ્તો બનાવ્યો જેનાથી લગ્ન સંભવ થયા.
શનિ શિંગણાપુર ગામ, મહારાષ્ટ્ર
ભારતના લગભગ દરેક શહેર અને ગામડાઓમાં લોકો રાત્રે બહાર જતી વખતે અથવા સૂતી વખતે સુરક્ષા માટે ઘરના બારણા જરૂરથી બંધ કરતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર ગામમાં લોકોના ઘરમાં બારણા જ નથી, જેના કારણે આ ગામ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ ગામના રહેવાસીઓ ભગવાન શનિના સાચા ભક્ત છે. લોકોનું માનવું છે કે જે કોઈપણ ગામમાં કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે તે શનિદેવના પ્રકોપનો શિકાર બને છે.