કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં પોતે પીએમઓ એટલે કે વડાપ્રધાનના કાર્યાલયથી આવ્યો હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા
તે ફાઇવ સ્ટાર હોટેલમાં સ્ટે, ઉરીની કમાન પોસ્ટથી એલઓસીની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો
Updated: Mar 17th, 2023
image : Twitter |
આજકાલ જાણે ટ્રેન્ડ બની ગયો છે કે નકલી પોલીસ અધિકારી કે નકલી ઓફિસર કે પછી નકલી એમએલએ બનીને લોકોને ઠગી લેવામાં આવે. આ દરમિયાન હવે એક અનોખો જ મામલો સામે આવ્યો છે. પીએમઓમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત હોવાનું જણાવી જમ્મુ-કાશ્મીરમાં પોલીસ પ્રોટેક્શન લઈને ફરતા ગુજરાતના નકલી અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આરોપીની ઓળખ કિરણ પટેલ તરીકે થઈ હતી.
મામલો શું છે?
મામલો એમ છે કે આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં પોતે પીએમઓ એટલે કે વડાપ્રધાનના કાર્યાલયથી આવ્યો હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા. એટલું જ નહીં અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. હાલમાં તેની શ્રીનગર પોલીસ દ્વારા કલમ 419, 420, 468 અને 471 હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપીએ અધિકારીઓ સાથે બેઠકો પણ કરી
માહિતી અનુસાર કિરણ પટેલ નામના આ ઠગ વ્યક્તિએ પોલીસ પ્રોટેક્શન પણ લઈ લીધું હતું અને તેને ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પણ પોલીસ ઊભી રખાઈ હતી. કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોકની તથા ગુલમર્ગની પણ મુલાકાત લીધી હતી. જમ્મુ-કાશ્મીર સીઆઈડીના ઈનપુટના આધારે શ્રીનગર પોલીસને કિરણ પટેલ નકલી અધિકારી હોવાની જાણ થઈ અને તેમણે હોટલમાંથી જ તેની ધરપકડ કરી લીધી હતી. આટલી મોટી બેદરકારી સામે આવતા હવે હાઈ-લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ બાબત એ છે કે કિરણ પટેલ અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂક્યા છે.
કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી ત્યાં ગયો હતો
સૂત્રોએ જણાવ્યું કે, કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. તેની ધરપકડ કરવામાં આવે તે પહેલા તેણે ઉરીની કમાન પોસ્ટથી, એલઓસીની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો હતો. શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, તેણે સરકારી મેજબાનીની મજા માણી, તેને પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) અને લક્ઝરી હોટેલમાં રૂમમાં અપાયો હતો. હવે તેની સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લેવાયો છે.
ગુજરાત પોલીસ પણ તપાસમાં સામેલ થઈ
પુલવામાના ડેપ્યુટી કમિશનર બશીર ઉલ હક અને પોલીસ અધિક્ષક ઝુલ્ફીકાર આઝાદની જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કે કથિત વ્યકિતને સમયસર કેવી રીતે પકડવામાં આવ્યો ન હતો. સૂત્રો મુજબ ગુજરાત પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસ આ ઘટના અંગે મૌન છે. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓને તેની જાણ થાય તે પહેલા સીઆઈડી શાખાએ જ આ ભેજાબાજને શોધી કાઢ્યો હતો.